ગાયકવાડ રાજવંશ

વડોદરા રાજ્યનો ધ્વજ

ગાયકવાડ વંશ એ પશ્ચિમ ભારતમાં આવેલ વડોદરા રાજ્યનો શાસક વંશ છે. તેઓએ અઢારમી સદીની મધ્યથી ઈ.સ. ૧૯૪૭ એટલે કે ભારતની આઝાદી સુધી વડોદરા રાજ્ય પર શાશન કર્યું.[૧] સત્તા સંભાળનાર રાજકુંવર વડોદરાના મહારાજા ગાયકવાડ અથવા સામાન્ય રીતે ફક્ત ગાયકવાડ તરીકે ઓળખાતા હતા.[૨]

ઉદ્ભવ

ગાયકવાડ એક મરાઠી સમૂહ છે અને તેઓ ભગવાન કૃષ્ણના ચંદ્રવંશી વંશજો કહેવાય છે. પરિવારનું નામ ગાય અને કવાડ (દરવાજો) આ બે શબ્દોના મિલનથી બનેલ જણાય છે.[૩]

ઈતિહાસ

વડોદરામાં મરાઠા ગાયકવાડની શરૂઆત ઈ.સ. ૧૭૨૧માં થઈ. આ સમયે શહેર મુઘલ સામ્રાજ્યનો ભાગ હતું. મરાઠા સેનાપતિ પિલાજીરાવ ગાયકવાડએ તેને મરાઠા સામ્રાજ્યમાં ભેળવી દીધું. મરાઠા પેશ્વાઓએ કે જે મરાઠા સામ્રાજ્યના શાશક હતા તેમણે ગાયકવાડ પરિવારને વડોદરા રાજ્ય મરાઠા સામ્રાજ્યના સૂબા તરીકે ચલાવવા આપી દીધું.[૪]

વડોદરાના તત્કાલીના શાસક દામાજીરાવ ગાયકવાડ પાણીપતના ત્રીજા યુદ્ધમાં અફઘાન સૈન્ય સામે શ્રીમંત વિશ્વાસરાવ, મલ્હારરાવ હોલકર, મહાજી શિંદે, જયપ્પા વગેરે સાથે રહીને લડ્યા.[૫] ઈ.સ. ૧૭૬૧માં આ યુદ્ધ બાદ મરાઠા સામ્રાજ્યના કેન્દ્રમાં રહેલ પેશ્વા શાસક નબળા પડ્યા. આ પરિસ્થિતિનો લાભ લઈને અનેક મરાઠા રાજવંશો જે અગાઉ સૂબા હતા તેઓએ પોતાના સ્વતંત્ર સામ્રાજ્ય સ્થાપ્યાં. જેમાં વડોદરાના ગાયકવાડ સિવાય ગ્વાલિયરના હોલકર પણ હતા. આ શાસકો સાતારાના ભોંસલે રાજા અથવા તો પેશ્વાઓની નજીવી સત્તા સ્વીકારતા.[૬]

ગાયકવાડ અન્ય મરાઠા વંશો સાથે મળીને અંગ્રેજો સામે પ્રથમ અંગ્રેજ મરાઠા યુદ્ધમાં લડ્યા. ૧૫ માર્ચ ૧૮૦૨ના રોજ તત્કાલીન શાસક મહારાજા આનંદરાવ ગાયકવાડે અંગ્રેજો સાથે કેમ્બે સંધિ કરી જે અંતર્ગત અંગ્રેજોએ ગાયકવાડ રાજ્યને મરાઠા સામ્રાજ્યથી સ્વતંત્ર અસ્તિત્ત્વને માન્યતા આપી, ગાયકવાડ શાસકને સ્થાનિક નિર્ણયોની સ્વાયતતા આપી અને બદલામાં ગાયકવાડ રાજાએ અંગ્રેજોનું અધિરાજપણું સ્વીકાર્યું.[૭]

ઈ.સ. ૧૮૭૫માં મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ સત્તા સંભાળી. તેઓએ વડોદરાના આધુનિકીકરણને ખૂબ મહત્તા આપી. પ્રાથમિક શિક્ષણ ફરજીયાત બનાવ્યું, પુસ્તકાલયની પદ્ધતિ વિક્સાવી અને વિખ્યાત મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી. તેમણે કાપડ મિલોને શરૂ કરવા પ્રોત્સાહન આપ્યું જેને કારણે વડોદરામાં કાપડ ઉદ્યોગનો વિકાસ થયો. તેમણે ડૉ. ભીમરાવ આંબેડકરને કોલંબિયા વિશ્વવિદ્યાલય ખાતે અભ્યાસ અર્થે શિષ્યવૃત્તિ આપી.[૮]

ભારતની આઝાદી વખતે વડોદરાના આખરી મહારાજાએ ભારત સાથેનું જોડાણ સ્વીકાર્યું. અંતે બરોડાને બોમ્બે રાજ્યમાં વિલીન કરાયું, જેનું આગળ જતાં ૧૯૬૦માં વિભાજન થયું અને તે ગુજરાતનો ભાગ બન્યું.[૯]

ગાયકવાડ અટક પણ સામાન્ય રીતે અસ્તિત્ત્વમાં છે અને તે મોટાભાગે મહારાષ્ટ્રમાં જોવા મળે છે.

વડોદરાના મહારાજાઓ

મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા

સંદર્ભ